Luke 21
1ઈસુ ભક્તિસ્થાનમાં ઊંચું જોતા હતા. ત્યાં તેમણે શ્રીમંતોને [ધર્મ] ભંડારમાં પોતાનાં દાન નાખતા જોયા. 2એક દરિદ્રી વિધવાને તેમાં નજીવા મૂલવાળા બે સિક્કા નાખતા જોઈ, 3ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હું તમને સાચું કહું છું કે, આ દરિદ્રી વિધવાએ એ સૌ કરતાં વધારે દાન આપ્યું છે. 4કેમ કે એ સહુએ પોતાની જરુરીયાત કરતાં વધારે હતું તેમાંથી દાન પેટીમાં કંઈક નાખ્યું, પણ તેણે પોતાની તંગીમાં તેની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.’ 5સુંદર પથ્થરોથી તથા ધર્મ દાનોથી મંદિર કેવું સુશોભિત કરાયેલું છે તે વિષે કેટલાક વાત કરતા હતા, ત્યારે ઈસુએ કહ્યું કે, 6‘આ બધું તમે જુઓ છો ખરા, પણ એવા દિવસો આવશે કે જયારે અહીં પાડી નંખાશે નહિ એવો એક પથ્થર પણ બીજા પર રહેવા દેવાશે નહિ.’ 7તેઓએ તેમને પૂછ્યું કે, ‘ઉપદેશક, તો એ ક્યારે થશે? જયારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે કઈ નિશાની દેખાશે?’ 8ઈસુએ કહ્યું કે, ‘કોઈ તમને ભુલાવે નહિ માટે સાવધાન રહો; કેમકે મારે નામે ઘણા આવીને કહેશે કે, તે હું છું; અને સમય પાસે આવ્યો છે; તો તમે તેઓને અનુસરશો નહિ.’ 9જયારે તમે યુદ્ધોના તથા બળવાઓના સમાચાર સાંભળો ત્યારે ગભરાશો નહિ , કેમકે આ બધું પ્રથમ થાય તે જરુરી છે; પણ એટલેથી અંત આવવાનો નથી. 10ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે,’ પ્રજા પ્રજા વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; 11અને મોટા ધરતીકંપો થશે, તથા ઠેરઠેર દુષ્કાળ તથા મરકીઓ થશે; આકાશમાંથી ભયંકર ઉત્પાત તથા ભયાનક ચિહ્નનો થશે. 12પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, તમને સતાવશે અને સભાસ્થાનો તથા જેલના અધિકારીઓને હવાલે કરશે, અને રાજાઓ તથા રાજ્યપાલ સમક્ષ લઈ જશે. 13એ તમારે સારુ સુવાર્તા સંભળાવવા તે તમારે સારુ સાક્ષીરૂપ બની રહેશે. 14માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે અગાઉથી ચિંતા કરવી નહિ. 15કેમકે હું તમને એવું મુખ તથા એવી બુદ્ધિ આપીશ, કે તમારો કોઈ પણ વિરોધી તમારી સાથે વાદવિવાદ કરી શકશે નહિ અને તમારી સામે થઇ શકશે નહિ. 16માબાપથી, ભાઈઓથી, સગાથી તથા મિત્રોથી પણ તમે પરાધીન કરાશો; તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે. 17મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે. 18પણ તેઓથી તમારા માથાનો એક વાળ પણ વાંકો કરી શકાશે નહિ. 19તમારી ધીરજથી તમારા જીવને તમે બચાવશો. 20પણ જયારે યરૂશાલેમને લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો ઉજ્જડ થવાનો સમય પાકી ગયો છે. 21ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું; અને જેઓ ખેતરોમાં હોય તેઓએ [શહેર]માં આવવું નહિ. 22કેમકે એ વેર વાળવાના દિવસો છે, એ માટે કે જે લખેલું છે, તે બધું પૂરું થાય. 23એ દિવસોમાં જેઓ સગર્ભા હશે તથા જેઓ સ્તનપાન કરાવતી હશે તેઓની હાલત કફોડી થશે. કેમ કે દેશ પર મોટી વિપત્તિ, અને આ લોકો પર કોપ આવી પડશે. 24તેઓ તરવારની ધારથી માર્યા જશે, અને કેટલાકને ગુલામ બનાવીને અન્ય દેશોમાં લઈ જવાશે; અને બીનવિશ્વાસીઓના સમયો પૂરા થશે, ત્યાં લગી યરૂશાલેમ તેઓથી ખૂંદી નંખાશે. 25સૂર્ય તથા ચંદ્ર તથા તારાઓમાં ચિહ્નનો થશે; અને પૃથ્વી પર દેશજાતિઓ, સમુદ્રના મોજાંઓની ગર્જનાથી ત્રાસીને ગભરાઈ જશે. 26પૃથ્વી ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની ખાતરીથી માણસો થાકી જશે; કેમકે આકાશમાં પરાક્રમો હાલી ઉઠશે. 27ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમાસહિત વાદળામાં આવતા જોશે. 28પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઊઠાવીને તમારાં માથાં ઊંચા કરો, કેમકે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે, એવું સમજવું. 29ઈસુએ તેઓને દ્દ્રષ્ટાંત કહ્યું કે, અંજીરી તથા સર્વ વ્રુક્ષોને જુઓ. 30હવે તેઓ જયારે ફૂટવા માંડે છે ત્યારે તમે તે જોઈને આપોઆપ સમજો છો કે ઉનાળો આવી રહ્યો છે. 31તેમ જ તમે પણ આ સઘળું થતાં જુઓ, ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે છે. 32હું તમને નિશ્ચે કહું છું કે, સઘળાં પૂરા થશે ત્યાં સુધી આ પેઢીનો અંત આવશે નહિ. 33આકાશ તથા પૃથ્વી નાશ પામશે , પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ. 34તમે સાવધાન રહો, રખેને અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થાય, અને તે દિવસ જાળની જેમ તમારા પર ઓચિંતો આવી પડે. 35કેમકે તે દિવસ આખી પૃથ્વી ઉપર વસનારાં સર્વ પર આવી પડવાનો છે. 36તમે સતત જાગતા રહો, અને વિનંતી કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની સમક્ષ રજૂ થવા માટે તમે સક્ષમ થાઓ.’ 37ઈસુ દરરોજ દિવસે ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા અને રાતવાસો જૈતૂન પહાડ પર કરતા હતા. બધા લોકો તેમનું સાંભળવા સારુ વહેલી સવારે તેમની પાસે ભક્તિસ્થાનમાં આવતા હતા. 38
Copyright information for
GujULB